Book publisher | Upcoming Book promo | Books | QR Shravya

#books #booklover #gujarati #selfhelp #novel #poetry #spiritual #motivational #mentalhealth #ghazal #stories #culture #business #children #history #inspiration #fiction #nonfiction #trailer #audiobook #zenopus #india


Zen Opus

કેન્ટ હારુફની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘Our Souls At Night’નો વીનેશ અંતાણી દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘અમારી રાતોનો ઉજાસ’.
સિત્તેર વર્ષની આસપાસ પહોંચેલાં બે એકાકી વૃદ્ધોને પોતાની એકલતા સતાવે છે. એવામાં વૃદ્ધા વૃદ્ધને રાતે એની પાસે સૂઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે. આરંભિક સંકોચ બાદ વૃદ્ધ વૃદ્ધાના ઘરે જવા લાગે છે. એક જ પલંગ પર બાજુબાજુમાં સૂતાં થતી વાતચીતમાં બંનેનાં અંતરંગ જીવનનાં પડ ખૂલતાં જાય છે અને સાથે ખૂલે છે એકબીજાનાં હૈયાં. ધીમેધીમે બંને એકમેકનો સહવાસ માણવા લાગે છે. બંને એકબીજાની જરૂરિયાત બની જાય છે. પોતપોતાના સંકુલ સંબંધોની નિખાલસ વાતો અને જીવનમાં બનેલી દુઃખદ સુખદ ઘટનાઓની આપ-લે એક શુદ્ધ પ્રેમસંબંધમાં પરિણમે છે. ફેફસાના કૅન્સરથી પીડાઈ રહેલા અમેરિકન લેખક કેન્ટ હારુફની આ અંતિમ નવલકથા તેમની મૃત્યુ વેળાએ પ્રકાશિત થાય છે અને બને છે એક બેસ્ટસેલર, જેના પરથી ફિલ્મ પણ બની છે.
વૃદ્ધ સ્ત્રીપુરુષની આ ઉત્કટ અને અનન્ય પ્રેમકથા આપણી ભાષાના સર્જક વીનેશ અંતાણીને સ્પર્શે છે અને તેઓ આ સંવેદનશીલ નવલકથા ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. આત્માના ઊંડાણમાં અઢળક પ્રેમનો ઉજાસ પાથરતી આ નવલકથા દરેક ગુજરાતીને પ્રેમના નવા ભાવવિશ્વમાં લઈ જશે

11 months ago | [YT] | 1

Zen Opus

@ZenOpusOfficial
ઇતિહાસના ગર્ભમાં કંઈક કેટલીયે ઘટનાઓની તવારીખ સચવાયેલી છે જેણે માનવજાત અને દુનિયા પર પોતાની દીર્ઘકાલીન અસર છોડી છે. પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે કેટલીક ઘટનાઓએ માનવતા શબ્દના અર્થ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો. યુદ્ધની આડમાં થયેલા એવા નરસંહાર જેમાં નિર્દોષ અને સામાન્ય નાગરિકો અસહ્ય યાતનાઓ વેઠી દર્દનાક મોતને ભેટ્યા. બીજા વિશ્વયુદ્ધ પહેલા 1915માં તુર્કો દ્વારા આર્મીનીયનોનો કરાયેલ ક્રૂર સામૂહિક માનવ વધ. જાપાની સૈનિકો દ્વારા ચીનના નાનકિંગ શહેરમાં ખેલાયેલી રક્તરંજિત હોળી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી જર્મનોનો દ્વારા યહૂદીઓ પર થયેલા અત્યાચાર અને સામૂહિક હિંસા. સાથે વિયેતનામ, કંબોડિયા અને રવાન્ડા જેવા પ્રદેશોમાં આંતરવિગ્રહના પરિણામે થયેલ દમન અને અત્યાચારો. આ પુસ્તકમાં આ વિશેના લેખો તેમ જ અમેરિકામાં ગુલામશાહી દરમિયાન લોકો પર થયેલા દમનનું ચિત્ર પણ રજૂ કરાયું છે. બીજા વિશ્વયુદ્ધના અંતે અમેરિકા દ્વારા જાપાન પર થયેલ પરમાણુ હુમલો. આ અમાનવીય કૃત્ય થકી મોતને ઘાટ ઉતરેલા લોકોની પીડાને શબ્દદેહ મળ્યો આ પુસ્તકમાં.
યુદ્ધના વરવા અને ઉજળાં પાસાં દર્શાવતી કેટલીક ફિલ્મોનો પણ પરિચય સામેલ છે. ક્યાંક સત્તાના નામે તો ક્યાંક ધર્મ અને સંસ્કૃતિના નામે આચરાયેલ આ ક્રુર અને અમાનવીય ઘટનાઓએ માનવ ઇતિહાસને કેવી રીતે બદલ્યો અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેવી રીતે અસર પહોંચાડી તેનો આબેહૂબ ચિતાર તથા વિશ્વભરમાં થયેલ કાળજું કંપાવનાર નરસંહારોની સિલસિલાવાર તવારીખ હકીકતમાં તો પરાઈ પીડાને પોતીકી બનાવે છે.

.
.
Now available on Zen Opus website:
www.zenopus.in/book/novel/peed-paraee

.
.
.
.
.
.
.
.
.
#books #gujaratinovel #novel #gujaratisahitya #war #warstories #gujaratibooks

1 year ago | [YT] | 0

Zen Opus

લેખક પ્રવીણસિંહ ચાવડાને એક દિવસ પોતાનું કબાટ ફંફોસતાં મળી આવે છે જૂની કોથળી જેમાંથી નીકળે છે Bank of Scotlandની પાસબુક, યુનિવર્સિટી ઑફ એડિનબરાની લાઇબ્રેરીનું કાર્ડ, બ્રિટિશ કાઉન્સિલના કેટલાક પત્રો, વિઝિટિંગ કાર્ડ, ટેલિફોન ડાયરી, ચબરખી ઉપર સરનામાં વગેરે. આ તમામ વસ્તુઓ એમને ખોલી આપે છે દ્વાર એડિનબરાના પ્રવાસની સ્મૃતિઓનાં, જેમાં લટાર મારી જીવંત થયેલા ભૂતકાળને મળે છે પુસ્તકનું રૂપ, જેનું શીર્ષક છે ‘મારો એડિનબરાનો પ્રવાસ’. ૧૯૯૦માં બ્રિટિશ કાઉન્સિલના આમંત્રણથી કૉમ્યુનિટી એજ્યુકેશનના કોર્સ માટે લેખકને એડિનબરા જવાનું થાય છે. સાથે છેલ્લું એક પખવાડિયું યુનિવર્સિટી ઑફ લંડનમાં યોજાયેલા ઈસ્ટર વેકેશન કોર્સમાં હાજરી આપે છે. આ સમય દરમિયાન લેખકને મળે છે, કડકડતી ઠંડીમાં અજાણ્યા સંબંધોની હૂંફ, નિયમો અને શિસ્તની વચ્ચે પ્રોફેસરો દ્વારા અપાતી વૈચારિક સ્વતંત્રતા અને સહપાઠીઓ સાથેનો ઘરોબો, પરદેશી ધરતી પર માણેલી દેશી મહેમાનગતિ અને એશિયન સંગીઓ સાથેના અજીબોગરીબ અનુભવો, જ્યૉર્જ સ્ક્વેરના કૅમ્પસમાં થતી ચર્ચાઓ અને બંધાતી મિત્રતા, શેક્સપિયર, બ્રોન્ટે સિસ્ટર્સના જન્મસ્થળની મુલાકાત. આમ પોતાના પ્રવાસ દરમિયાન થયેલી નવી મુલાકાતો, બંધાયેલા આત્મીય સંબંધો અને સંસ્કૃતિઓના સમન્વયની અનોખી સાહિત્યિક ઝાંખી આ પુસ્તકમાં એક સ્મૃતિ સ્વરૂપે જીવંત થઈ છે, જેના દરેક પ્રસંગમાં સીમાડાઓ ઠેકતા વિચારો સાથે માનવીય સંબંધોની મહેક માણવા મળે છે.

.
.

Now available on Zen Opus website:
www.zenopus.in/book/travelogue/maro-edinburgh-no-p…

.
.
.
.
.
.
.
.
.
.
.
.
#books #travel #traveldiaries #travelbook #gujaratibooks #zenopus #edinburgh #scotland

1 year ago | [YT] | 0

Zen Opus

માનવીના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ તેને અજવાસમાંથી અંધકારમાં ધકેલી દેતી હોય છે. આ અંધકારમાંથી પાછા અજવાસ તરફ જવા મથતો માનવજીવ બની જાય છે તમસલોકનો યાત્રી. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલાં પાત્રોની મનોદશાને વિવિધ વાર્તાઓમાં અભિવ્યક્ત કરે છે શિરીષ પંચાલ.
• પોતાના ઘરેથી આંટો મારવા નીકળેલા દિનેશ પરીખ અચાનક કોઈ અજાણી વ્યક્તિના ખૂનના આરોપમાં ગિરફતાર થઈ જાય છે અને પત્ની અને પરિવારથી દૂર કોઈ નવા શહેરમાં પહોંચી જાય છે જ્યાં તેમને પોતાની ઓળખ ખોયાનો કારમો અનુભવ થાય છે.
• ઇન્વેસ્ટમેન્ટ ફર્મમાં કામ કરતો સુકેતુ દેસાઈ એવા કાર-અકસ્માતના કેસમાં ફસાય છે જે તેનાથી થયો જ નથી. પોલીસ અને ફરિયાદીના ચક્રવ્યૂહમાં ફસાતો જતો સુકેતુ છેવટે કોઈ મહિલા પોલીસમિત્રની મદદથી પોતાનું જીવન પાછુ મેળવે છે.
• જંગલમાં શિકાર કરી ગુજરાન ચલાવતો માંસાહારી મગનો ભયાનક પૂરમાં સપડાય છે અને ત્રણ દિવસ ભૂખનો સામનો કરે છે. અચાનક તેના હાથ લાગે છે પૂરમાં તણાઈ આવેલી એક ગર્ભવતી મહિલા અને ઘાયલ હરણનું બચ્ચું, જે તેનું જીવન બદલી નાખે છે.
• પુત્રમોહમાં અંધ બનેલા હસ્તિનાપુરના સ્વામી ધૃતરાષ્ટ્રને પોતાનું અંધત્વ લઈ જાય છે અનેક પ્રશ્નોના અંધકારમાં, જ્યાં પુત્રી દુશલા તેની વ્યથાને સાંભળે છે અને તટસ્થ બની તેના પ્રશ્નોનું સમાધાન કરવા વાર્તાલાપ માંડે છે.
પરિસ્થિતિના અંધકારમાં સપડાયેલાં આ પાત્રોને શું અજવાળું મળશે? આવો પ્રશ્ન લઈને આવતી દરેક વાર્તા વાચકને આખી વાર્તા એકીબેઠકે વાંચવા વિવશ કરે છે. સાથે સ્થળ, કાળ અને પરિસ્થિતિનું રચનાત્મક નિરૂપણ વાચકને પાત્રો અને ઘટનાના તાદૃશ સાક્ષી બનાવે છે. અલાયદી ૨૧ વાર્તાઓનો તરોતાજા સંગ્રહ - શિરીષ પંચાલ લિખિત ‘તમસલોકનો યાત્રી’.

.

Now available on Zen Opus website: www.zenopus.in/book/stories/tamaslok-no-yatri
.
.
.
.
.
.
#shortstory #gujaratisahitya #gujarati #vartarevarta #gujaratistories #storiesingujarati #zenopus #books

1 year ago | [YT] | 0

Zen Opus

ગુજરાતી ભાષાના સારસ્વત નિરંજન ભગત અંગ્રેજી ભાષાના કવિ ટી.એસ.એલિયટ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વાંચવાની શરૂઆત કરે છે. ગૂઢ સાંકેતિક શૈલીમાં લખાયેલી એલિયટની કવિતાઓ પ્રથમ પ્રયાસે સમજવામાં અઘરી લાગતા ભગતસાહેબ એમના વિવેચકોને વાંચે છે. જેમના વિવેચનના આધારે તેઓ એલિયટની મુખ્ય કવિતાઓ નામે ધ વેસ્ટ લેન્ડ અને ફોર કવોર્ટેટ્સનો ઊંડો અભ્યાસ કરવા પ્રેરાય છે અને એ દરમ્યાન આ કાવ્યોને સમજવા હાંસિયાનોંધો એટલે કે માર્જીનલિયા ટાંકતા જાય છે. આ પ્રક્રિયા તેમને કવિતાઓનો આનંદ માણવા સહાયરૂપ બને છે. પછી તો આ કાવ્યો અનેકવાર વાંચી દરેક વખતે નવો કાવ્યાર્થ પામી રસ તરબોળ થતા જાય છે.‌ એવી જ રીતે ટાગોરની કવિતાઓને માણવા માટે પ્રથમ બંગાળી શીખે છે અને ગીતાંજલી તેમજ પદ્યનાટિકા ચિત્રાંગદાનો ઊંડો અભ્યાસ કરે છે. ચિત્રાંગદાથી ભગતસાહેબ પ્રભાવિત થઈ તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને એ પણ કૃતિનાં મૂળ બંગાળી છંદ પયારથી મળતા આવતા ગુજરાતી છંદ વનવેલીમાં. સાથે જ આ નાટિકાનો ઊંડાણપૂર્વક કરેલ અભ્યાસલેખ તૈયાર કરે છે જે કૃતિને માણવા માટે ઉપયોગી થઈ રહે છે. ટી. એસ. એલિયટનાં પ્રચલિત કાવ્યો ધ વેસ્ટ લેન્ડ અને ફોર કવોર્ટેટ્સ તેમજ રવીન્દ્રનાથ ટાગોરની પદ્યનાટિકા ચિત્રાંગદા પર ભગતસાહેબની આ માર્જીનલિયા પ્રસ્તુત છે પુસ્તક સ્વરૂપે, જેનું શીર્ષક છે ટેક્સ્ટ્યુઅલ સ્ટડી. નિરંજન ભગતનાં રસિકો અને એમને નિકટતાથી જાણનારા સુજ્ઞ વાચકો માટે એમનાં જ સુવર્ણ અક્ષરોમાં ટંકાએલી નોંધો સાથેનું આ પુસ્તક કલેકટર્સ એડિશન છે.

.
.
Now available on Zen Opus website:
www.zenopus.in/book/collectors-edition/textual-stu…
.
.
.
.
.
#books #newbook #gujaratikavita #sahitya #rabindranathtagore #tseliot #poetry #bookpromotion #niranjanbhagat

1 year ago | [YT] | 0

Zen Opus

કવિવર રવીન્દ્રનાથ ટાગોર કંઈ કેટલાયની પ્રેરણામૂર્તિ રહ્યા છે. પરંતુ કવિવરની પોતાની પ્રેરણામૂર્તિ કોણ? જેમણે તેમનાં જીવન અને સાહિત્ય પર ઊંડી અસર પાડી, જેમણે કવિની પ્રતિભાના વિકાસમાં ઊંડો રસ લીધો, એમનું નામ હતું કાદંબરીદેવી. જ્યોતિરિન્દ્રનાથ, જે રવીન્દ્રનાથના મોટા ભાઈ હતા અને તેમનાથી ૧૨ વર્ષ મોટા હતા, તેમની સાથે લગ્ન કરી ટાગોરપરિવારમાં વધૂ તરીકે આવેલાં નવ વર્ષનાં કાદંબરીદેવી અને સાત વર્ષના રવીન્દ્રનાથ શિશુસંગી હતાં. કિશોરવયે બંનેનો સાહિત્યપ્રેમ તેમને વધુ નિકટ લાવ્યો. ૨૫ વર્ષની વયે કાદંબરીદેવી કોઈ ગૂઢ કારણસર આત્મહત્યા કરે છે અને કવિવર માટે છોડતા જાય છે સ્મૃતિઓનું વિશ્વ. જેના આધારે કવિ આ સુંદર સંબંધને અંજલિ આપતાં રચે છે ‘પુષ્પાંજલિ’. કાદંબરીદેવીની યાદમાં તેમને અનુલક્ષીને લખાયેલાં ગદ્યકાવ્યો, ગીતો અને કવિતાનો આ સંગ્રહ ‘પુષ્પાંજલિ’ રવીન્દ્રસાહિત્યના અભ્યાસુ શૈલેશ પારેખને આકર્ષે છે અને તેઓ તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આપણને મળે છે સંપાદિત પુસ્તક – છબિ, અંતરતમના કવિની. કવિવર અને કાદંબરીદેવીના અલ્પાયુષ સંબંધ વિશે વિસ્તૃત જાણકારી માટે આ પુસ્તકમાં રવીન્દ્રનાથનાં સંસ્મરણોમાંથી કેટલાક અંશ તેમ જ તેમની સ્મૃતિમાં લખાયેલાં રવીન્દ્રનાથનાં કાવ્યો પણ આ પુસ્તકમાં પ્રસ્તુત છે. કવિવરના ચાહકો માટે જિજ્ઞાસાનો વિષય ગણાતા આ અદ્ભુત સંબંધ વિશેનું આ પુસ્તક આ મહાન કવિની સર્જનયાત્રાને સમજવા માટે ઉપયોગી નીવડશે.
.

Now available on Zen Opus website:
www.zenopus.in/.../ghaza.../chhabi-antartamna-kavi…
.

and also on Amazon Books:
www.amazon.in/dp/8197316104

.
@ZenOpusOfficial
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
#poetry #poem #gujaratipoetry #gujaratipoem #gujaratikavi #gujaratikavita #gujaratisahitya #gujaratibooks #gujarati #sahitya #RavindranathTagore #RabindranathTagoreJayanti #RabindranathTagore #TagorePoetry #books #poetrylovers #zenopus

1 year ago | [YT] | 0

Zen Opus

ગુજરાતી ગઝલના ઇતિહાસમાં અને મુશાયરા મહેફિલોમાં ખ્યાત નામ ખલીલ ધનતેજવીના ઈ.સ. 2001થી 2020 સુધીમાં ‘સાદગી’ (2001), ‘સારાંશ’ (2008), ‘સોગાદ’ (2012), ‘સૂર્યમુખી’ (2014), ‘સાયબા’ (2015), ‘સાંવરિયો’ (2017), ‘સગપણ’ (2017), ‘સરોવર’ (2018), ‘સોપાન’ (2019), ‘સારંગી’ (2019) એમ દશ ગઝલસંગ્રહ પ્રગટ થયા છે. આ દસેદસ સંગ્રહોને સમાવતા આ ગઝલસંપુટ ‘સમગ્ર’માં બધી જ, સાડા નવસો જેટલી ગઝલોનો સમાવેશ થયો છે.
આ ગઝલોમાંના શેરો ક્યારેક ક્વૉટેબલ ક્વૉટ્‌સ બની જાય છે, તો ક્યારેક જિંદગીનો ઑડિયો વિઝ્યુઅલ ઍક્શન રિપ્લે; ક્યારેક ચાંદ, સૂરજ, ફૂલો, કિતાબો, બાગો, સમંદરો, સુગંધો, ફરિશ્તાઓને અમર બનાવી દે છે, તો ક્યારેક આહ, પીડા, નિસાસાને દાર્શનિક વસ્ત્રો પહેરાવીને આપણાં અશ્રુઓને ઝીલતો રૂમાલ બનાવી દે છે.
ખલીલભાઈને આ બધી જ ગઝલ મૌખિક છે. તેમણે ક્યારેય પોતાની ગઝલો કાગળ પર નથી લખી. સંગ્રહ પ્રગટ કરતી વખતે યાદ કરી કરીને લખાવી છે. પરંપરિત ગઝલોના સુવર્ણયુગ સમયે લખાયેલી આ ગઝલોમાં ખલીલ ધનતેજવીનો પોતીકો મિજાજ પ્રગટ્યો છે. સાકી, સુરા, જામની ગઝલોના સમયમાં સામાજિક સત્ત્વ-તત્ત્વનો સંસ્પર્શ પામેલી તથા યુવા દિલોને સ્પર્શતી આ ગઝલોમાં પુનરાવર્તન-દોષ નથી.
.
.

Now available on Zen Opus website:
www.zenopus.in/book/ghazalpoetrygeet/samagra


.
@ZenOpusOfficial

#books #ghazal #gazal #gazalshayari #shayari #gujaratigazal #gujaratishayari #gujaratighazal #poetry #ghazalpoetry #khalildhantejvi #gujaratisahitya #zenopus #bookreels #gujarati

1 year ago | [YT] | 1

Zen Opus

વિપુલ માત્રામાં લખાતી ગઝલો વચ્ચે જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે ભાવકોના કાન સરવા થઈ જાય છે. પૂરતી સમજણ અને નિષ્ઠા સાથે ગઝલકર્મ કરતો આ નવો અવાજ છે યુવા ગઝલકાર શૌનક જોશીનો.
આ કવિ પાસે એક સારી ગઝલ કહેવા માટે જરૂરી તમામ બાબતો જેવી કે શુધ્ધ છંદોવિધાન, રદીફ કાફિયાની ઉચિત ગૂંથણી, દાવા-દલીલની સૂઝ, યોગ્ય ભાષાકર્મ અને અનુભૂતિની બોલચાલની ભાષામાં નાવીન્યપૂર્ણ અભિવ્યક્તિ જોવા મળે છે. આ કવિ ગઝલ કહે છે ત્યારે ગઝલ નીખરી આવે છે.
શૌનક જોષીએ ટૂંકા ગાળામાં પોતાની સત્ત્વશીલ ગઝલો દ્વારા સહુનું ધ્યાન ખેંચ્યું છે. તેમની નિષ્ઠાપૂર્વકની ગઝલસાધનાનું સુફળ એટલે તેમનો આ પ્રથમ ગઝલસંગ્રહ ‘એવાં ઘણાં છે ફૂલો’.
.

.


Now available on Zen Opus website: www.zenopus.in/book/ghazalpoetrygeet/eva-ghana-che…

@ZenOpusOfficial

#books #poetry #ghazalpoetry #gujaratisahitya #gazal #gazalshayari #gujarati #gujaratigazal #zenopus

1 year ago | [YT] | 1

Zen Opus

1980નાં દાયકાનો ઉત્તરાર્ધ એટલે આજના કમ્પ્યૂટર મહાશયનો ભાંખોડિયા ભરવાનો સમય યુવા પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય કે તે વખતે કમ્પ્યુટરની RAM 2 MB હતી અને હાર્ડડ્રાઈવ 20 MB. અને જો 4MB અને 40MB મળે તો ભયો ભયો.
એ સમયે એક ગુજરાતી લેખક, આજનાં કમ્પ્યૂટર યુગની કલ્પના કરીને એક નવલકથા લખે છે. નવલકથાનું કેન્દ્રિય પાત્ર ડોક્ટર કિરણ કામદાર કમ્પ્યૂટરની ચીપ પર અમુક લાખ બાઈટ આંકી શકવાની સરળ રીત શોધવામાં સફળ થાય છે એ પરિકલ્પનાની આસપાસ ૧૯૮૭માં રચાયેલી નવલકથા ‘કલ્પતરુ’. જેમાં કમ્પ્યૂટરની એવી કરામતોની પરિકલ્પના છે જે એ સમયે સપનું લાગતી પણ આજે હકીકત બની ગઈ છે. પોતાનાં પાત્ર તથા ઘટનાનાં અનોખા નિરૂપણ દ્વારા વાચકને છેક સુધી જકડી રાખતી કથાવસ્તુના સર્જક અને ગુજરાતી ભાષાના વૈશ્વિક લેખક મધુ રાયની કલમે લખાયેલ નવલકથા ‘કલ્પતરુ’.
મધુ રાયનાં ચાહકોને તો કલ્પતરુ વાંચવી ગમશે જ પરંતુ આજની પેઢીને પણ આ નવલકથા ચોક્કસ આકર્ષશે.

1 year ago | [YT] | 0

Zen Opus

આમ તો આયુષ્યનો અંતિમ તબક્કો મનુષ્ય માટે કપરો હોય છે. પરંતુ આપણી ભાષાનાં મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠનું કવિ હૃદય જીવન સરિતાના આખરી તટ પર ઉભા રહી મૃત્યુના ઉદયને નિહાળતા નિહાળતા કવિકર્મ કરે છે અને આ ઘડીઓને વિલક્ષણ બનાવે છે. આ તબક્કામાં જાત સાથે થયેલી વાતોને અભિવ્યક્ત કરી કવિએ અનેક કાવ્યોમાં ઢાળી છે જે આ કાવ્યસંગ્રહની વિશેષતા છે. ક્યાંક કોઈ ગીતમાં કવિ સુખ દુઃખના સાથીને ખોયાની વેદના સુંદર રીતે વ્યક્ત કરે છે. તો ક્યાંક વળી આ પામર ખોરડાને ઘર સાથે સરખાવી જીવનનાં અંતિમ સત્યનો સ્વીકાર કરવા સજ્જ હોવાનો પુરાવો આપે છે. કોઈ પડાવ પર ક્ષણભંગુર જીવનમાં બધું ખોયા પછી મળેલા ખાલીપાને ઉજવે છે પોતાનાં કાવ્યોમાં, તો ક્યાંક શિયાળુ તડકા સાથે મિત્રતા કરતા પોતાનો પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત કરે છે. અને પોતાનો સ્થાયીભાવ વ્યક્ત કરવા પોતાનાં જન્મને માત્ર એક મુલાકાત કે ફેરો ગણી પરમતત્ત્વનો આભાર માનતા કાવ્યો પણ રચે છે.
કલમના સહારે પરમની યાત્રા પર નીકળેલા કવિ ચંદ્રકાન્ત શેઠનો આ નવો કાવ્યસંગ્રહ પ્રકૃતિ, પરમાત્મા અને પોતાપણા સાથે તાદાત્મ્ય કેળવી ભાવકોને શુદ્ધ કાવ્યોનો રસાસ્વાદ કરાવે છે.

1 year ago | [YT] | 0